વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓક્સિજન પ્રોડક્શન કંપનીઓના માલિક સાથે વાત કરશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની ઉચ્ચ સ્તરીય બેઠક કોરોનાના વધતા જતા કેસો વચ્ચે શરૂ થઈ ગઈ છે. આમાં તે તે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વાત કરી રહ્યા છે જ્યાં કોરોના કેસ સૌથી વધુ સામે આવી રહ્યા છે. સૌથી પહેલા તેમણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે વાતચીત શરૂ કરી હતી.
કેજરીવાલે ઑક્સીજન અને વેક્સિનનો મુદ્દો ઉઠાવ્યો
કેજરીવાલે વડાપ્રધાનને કહ્યું, ‘અમે આભારી છીએ કે કેન્દ્ર સરકારે દિલ્હીના ઓક્સિજન કોટામાં વધારો કર્યો છે, પરંતુ પરિસ્થિતિ ગંભીર બની છે. અમે કોઈને મરવા માટે છોડી શકતા નથી. અમે કેન્દ્રના
મંત્રીઓને ફોન કર્યા. તેમણે પહેલા મદદ કરી, પણ હવે તેઓ પણ થાકી ગયા છે. જો દિલ્હીમાં ઓક્સિજનનો પ્લાન્ટ ન હોય તો બે કરોડ લોકોને ઓક્સિજન નહીં મળે. જે રાજ્યોમાં ઓક્સિજન પ્લાન્ટ છે,
તેઓ અન્ય રાજ્યના ઓક્સિજનને અટકાવી શકે છે. જો કોઈ હોસ્પિટલમાં એક કે બે કલાકનો ઓક્સિજન બાકી છે અથવા જો ઓક્સિજન બંધ થઈ જાય અને લોકોનો મોત થાય તેવી સ્થિતિ આવે, તો મારે ફોન ઉપાડીને કોની સાથે વાત કરવી, જો કોઈ ઓક્સિજનનો ટ્રકને રોકી લે તો હું કોની સાથે વાત કરું? ‘
વડાપ્રધાનની ઓક્સિજન ઉત્પન્ન કરનારા કંપનીના માલિકો સાથે બેઠક યોજાશે. તેમણે તેમનો બંગાળ પ્રવાસ પણ રદ કર્યો છે. પહેલાં તેઓ માલદા, મુર્શિદાબાદ, બીરભૂમ અને દક્ષિણ કોલકાતામાં રેલીઓને સંબોધન કરવાના હતા, પરંતુ હવે તેઓ વર્ચ્યુઅલ રીતે ચારેય રેલી કરશે. સ્થાનિક ભાજપ કાર્યકરોએ રેલીઓ માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી હતી, પરંતુ છેલ્લી ક્ષણે એ રેલીઓને રદ કરવામાં આવી હતી.
આ બેઠકોને કારણે નરેન્દ્ર મોદીએ શુક્રવારે તેમનો બંગાળ પ્રવાસ રદ કર્યો છે. તેમણે ટ્વીટ કરીને આ વિશે માહિતી આપી હતી. તેમણે અહીં 4 જિલ્લાની 56 વિધાનસભા બેઠક માટે રેલીઓ કરવાની હતી. જોકે સાંજે પાંચ વાગ્યે તેઓ વર્ચ્યુઅલ રીતે રાજ્યના મતદારોને અપીલ કરશે.
ઓક્સિજનના મુદ્દે દેશની 6 હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન ગૃહ મંત્રાલયે ઓક્સિજન સપ્લાઇ વાહનોને રોકવામાં ન આવે એ અંગે રાજ્યોને નિર્દેશ આપ્યો છે. આ પહેલાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં ઓક્સિજનના સપ્લાઇ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી. આમાં તેમણે અધિકારીઓને સૂચના આપી કે રાજ્યોને ઓક્સિજન સપ્લાઇમાં કોઈપણ પ્રકારની અડચણ ન આવવી જોઈએ.